અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

તત્વ તન્માત્રા

ભાગ ૮ / ૪૪ · મૂળ PDF

तत्व तन्मात्रा

પૃથ્વી ગંધ

જળ રસ

આકાશ શબ્દ

વાયુ સ્પર્શ

તેજ (અગ્નિ) રૂપ

જ્ઞાનેન્દ્રિય

નેત્ર દૃશ્ય, જોવું

કાન શબ્દ, સાંભળવું

ધ્રાણ (નાક) ગંધ, સુંઘવું

જીભ સ્વાદ (રસ)

ત્વચા સ્પર્શ (પદાર્થ)

કર્મેન્દ્રિય

હાથ કાર્ય

પગ ગમન

ઉપસ્થ પ્રજનન

ગુદા મળવિસર્જન

મુખ આહાર અને વાણી

ઉપરાંત

મન મનન

બુદ્ધિ જાણવું, નિર્ણય કરવા

ચિત્ત ચિંતન

અહંકાર હું પણું, મારાપણું

ચિત્ત ચિંતન

આમ, મુખ્ય પ્રાણ અને પાંચ ઉપપ્રાણ મળીને ૫ જ્ઞાનેન્દ્રિઓ, ૫ કર્મેન્દ્રિઓ અને અંતઃકરણ (૪), માં પ્રવૃત્ત થઈને શરીરને જાગૃત, જીવંત અને પ્રવૃત્તિમય બનાવે છે. પરમાત્માએ સૌપ્રથમ પ્રાણનું સર્જન કર્યું. જે પ્રથમ કલા કહે છે. પછી પ્રાણમાંથી ૨) શ્રદ્ધા ૩) આકાશ ૪) વાયુ ૫) જ્યોતિ ૬) જળ ૭) પૃથ્વી ૮) ઈન્દ્રિયો ૯) મન ૧૦) અને અન્ન સર્જાયાં. તેના પછી અન્ન વડે ૧૧) વીર્ય ૧૨) તપ ૧૩) મંત્ર ૧૪) કર્મ ૧૫) લોક અને ૧૬) નામ એમ કુલ ૧૬ કલાઓની રચના થઈ.

પ્રાણને અયાસ્ય તથા આંગિરસ પણ કહે છે. તે તમામ અંગોનો સાર (રસ) હોય છે. જ્યારે શરીરનાં કોઈપણ અંગમાંથી પ્રાણ નીકળી જાય છે તો તે અંગ સુકાઈ જાય છે. તેનાં દ્વારા બધું ધારણ કરાયેલ હોવાથી તેને ‘ઉત્’ કહે છે. ‘વાક્’ અર્થાત્ વાણી જ ગીથા (ગીત) છે. પ્રાણ જ ‘ઉત’ છે અને ગીથા પણ. એટલે એને ‘ઉદગીથ’ પણ કહે છે.

પ્રાણનાં વિષે એક આખ્યાથિકા એવી છે કે “ઐકિતાનેય બ્રહ્મદત્તે સોમપાન કરતાં કહ્યું કે જો મેં મુખમાં નિવાસ કરનારા અંગોનાં રસને, પ્રાણથી અલગ માનીને ઉદ્ગાન (ઉદગીથજ્ઞાન) કર્યું હોય તો સોમદેવ મારું માથું પાડી નાખે.”

તાત્પર્ય એ છે કે મુખથી, વાણીથી જે વ્યક્ત થાય છે તે જો પ્રાણોનાં સ્પંદનથી યુક્ત નથી, તો વ્યર્થ છે, ઢોંગ માત્ર છે. માત્ર રટીને બોલવામાં આવેલા શબ્દો અનુભૂતિજન્ય પ્રાણોનો સંચાર ન થવાનાં લીધે નિસ્તેજ બને છે. તે નિષ્પ્રભાવી એટલે કે પ્રભાવ ઉપજાવતાં નથી. જૂઠું અસત્ય, અને માત્ર બોલવા ખાતર બોલનારાઓ... સાવધાન\! પ્રાણ અને વાક્ નો સંયોગ જીવન (સાધના)માં અનિવાર્ય છે.

જીવંત વ્યકિતનાં ત્રણ અન્ન હોય છે. તે ત્રણ અન્ન – મન, વાણી અને પ્રાણ છે. મન દ્વારા જ બધાં કાર્યો થાય છે. જો મન બીજે હોય તો યોગ્ય રીતે જોવાનું કે સાંભળવાનું બરાબર થતું નથી. દા.ત. વ્યક્તિ એમ કહેતા હોય છે કે મારું મન બીજે હતું એટલે બરાબર જોયું નથી કે સાંભળ્યું નથી. આથી સ્પષ્ટ થાય છે કે વ્યક્તિ મન દ્વારા જ બધું જુએ છે અને સાંભળે છે. મન વડે જ કાર્ય, સંકલ્પ, શ્રદ્ધા, સંશય, અશ્રદ્ધા, ધારણા, લજ્જા, બુદ્ધિ, ભય અનુભવે છે. આથી વ્યક્તિનાં શરીરમાં પાછળ પીઠ પર સ્પર્શ કરીને તેનાં વિષે જાણી લેતાં હોય છે.

તમામ શબ્દો એ વાક્ શક્તિ – વાણી છે. જેના દ્વારા અભિપ્રાય આપી શકાય છે. સંવાદ ક૨ી શકાય છે. જ્યારે શરીરમાં રહેલા પ્રાણ અને ઉપપ્રાણો દ્વારા પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન આત્મનિર્ભરતા (શરીરમાં રહેવાની શક્તિ) પ્રગટાવે છે.

મન, વાણી અને પ્રાણ એ જ ત્રણ લોક છે. વાક્ પૃથ્વીલોક છે (એટલે પૃથ્વી પર પ્રત્યેક કાર્યો વાણી દ્વારા સંપન્ન થાય છે.) મન અંતરિક્ષ લોક છે. જ્યારે પ્રાણ ઘુ (સ્વર્ગ) લોક છે એમ કહેવાય છે. તેઓમાંથી વાક્ શક્તિ દેવતા, મન પિતૃગણ અને પ્રાણ મનુષ્ય છે એમ પણ કહે છે. વાક્ માતા, મન પિતા અને પ્રાણ પ્રજા-સંતતિરૂપ ગણાય છે. જાણેલું વાકશક્તિ છે જે જ્ઞાનસ્વરૂપ થઈને જીવની રક્ષા કરે છે. જે કાંઈપણ જાણવાયોગ્ય છે એ મનનું સ્વરૂપ છે. વાસ્તવમાં મન જ જાણવાયોગ્ય છે. એ મન બનીને રક્ષણ કરે છે. હવે જે કાંઈપણ જાણ્યા વગરનું છે તે પ્રાણસ્વરૂપ છે. કારણ કે તે છૂપું રહીને રક્ષણ કરે છે. વાકશકિત પૃથ્વી તથા અગ્નિ તત્વરૂપ છે. ઘુલોક એ મનની કાયા અને સૂર્ય તેનું જ્યોતિમાન સ્વરૂપ છે. જેટલાં પરિમાણનું મન છે એટલું જ ઘુલોક અને સૂર્ય છે. જ્યારે સૂર્ય અને અગ્નિ તત્વથી જ પ્રાણતત્વનો ઉદ્ભવ થયો છે. પ્રાણને જ શાસ્ત્રોમાં ઇન્દ્ર, શત્રુહીન કહે છે. જળ એ પ્રાણનું શરીર અને ચંદ્ર તેનું જ્યોતિમાન સ્વરૂપ છે. બંને બરાબર માત્રામાં જ પ્રાણમાં હોય છે. જળ અને ચંદ્રનાં માધ્યમથી આ પ્રાણતત્વ તત્વદૃષ્ટામાં આવેશિત થાય છે. આ દિવ્ય પ્રાણ છે. આથી સમસ્ત ઈન્દ્રિયો પ્રાણમય બની ગઈ.

એક શ્લોકમાં કહ્યું છે કે “આ આદિત્ય જ્યાંથી ઊગે છે ત્યાં જ અસ્ત થઈ જાય છે.” એટલે કે આ સૂર્ય જરૂર પ્રાણથી જ ઊગે છે અને પ્રાણમાં જ અસ્ત થાય છે.

તેથી બધાએ એક જ વ્રત આચરવું જોઈએ. રેચક અને પૂરક ક્રિયા કરીને પ્રાણાયામ કરો. આથી મૃત્યુ સ્પર્શ નહીં કરી શકે એટલે કે જીવન પ્રાપ્ત થશે. પ્રાણ જ અમૃત સ્વરૂપ છે.